Published On Mar 18, 2024
ગુજરાતી ગીત-સંગીતને ગુંજતું રાખનાર સંગીતકારો અને ગાયકોની અગ્રિમ હરોળમાં જેમનું સ્થાન છે એવા, મુંબઈ નિવાસી સુરેશ જોશી એટલે શાંત સ્વરે પોતાનું કામ કરનાર સર્જક. ચાર દાયકાથી એમની સંગીત સાધના અવિરતપણે ચાલી રહી છે. અને એમની પાસે સંગીતની તાલીમ લઈને અનેક નવા ગાયકો તૈયાર થાય છે. વ્યવસાયે તેઓ ઈજનેર છે પણ એમને સંગીત સાથે નાનપણથી ઊંડો લગાવ રહ્યો છે. એમનાં સ્વરાંકનો અને ગાયકીની વિશેષતા તે એમની કાવ્યની પસંદગી છે. સાહિત્ય પ્રત્યે એમને ભારે રુચિ છે અને એથી એમનાં સ્વરાંકનોમાં કાવ્યતત્ત્વ ખૂબ સબળ હોય છે. એમણે અનેક નાટકો માટે સંગીત આપ્યું છે અને હાલ પણ તેઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એમની સાથેની આ અંતરંગ ગોષ્ઠી એમની સર્જકતાનો અને એમના હળવાશભર્યા સહજ વ્યક્તિત્વનો પરિચય કરાવશે. અને હા, એમના કંઠે એમનાં કેટલાંક સ્વરાંકનો પણ આ વાર્તાલાપમાં એ મુકત કંઠે રજૂ કરે છે.